દોરાથી ઈજાગ્રસ્ત થનાર પક્ષીઓ માટે એપ, હેલ્પલાઇન નંબર્સ, સારવાર કેન્દ્રો, તબીબો, સ્વયંસેવકો, સહિત હજારો જીવદયા પ્રેમીઓ ખડેપગે

ગાંધીનગર, 13 જાન્યુઆરી, 2025 : ઉત્સવોને ઉમંગ સાથે ઉજવવા માટે જાણીતું ગુજરાત પશુ-પંખીઓ સહિત તમામ જીવો પ્રત્યે પણ એટલી ઊંડી સંવેદના ધરાવે છે. તેનું ઉદાહરણ છે ગુજરાતમાં દર વર્ષે 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ-ઉત્તરાયણ પર્વ દરમિયાન ઉજવાતાં પતંગોત્સવ દરમિયાન ઈજાગ્રસ્ત થતાં પક્ષીઓની સારવાર માટે મોટા પાયે કરવામાં આવતી વ્યવસ્થા વડે જોઈ શકાય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં પતંગોત્સવ દરમિયાન દોરાથી ઈજાગ્રસ્ત થનાર પક્ષીઓ માટે એપ, હેલ્પલાઇન નંબર્સ, સારવાર કેન્દ્રો, તબીબો, સ્વયંસેવકો, સહિત અનેક જીવદયા પ્રેમીઓ ખડેપગે છે. જોકે વિધિવત રીતે ભલે પતંગોત્સવ 14-15 જાન્યુઆરીએ જ ઉજવાતો હોય, પરંતુ પતંગઘેલા ગુજરાતીઓ જાન્યુઆરી શરૂ થતા જ પતંગો ચગાવવાનું શરૂ કરી દે છે અને એટલા માટે ઈજાગ્રસ્ત પક્ષીઓના રક્ષણ માટેનું કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી જ શરુ થઈ જાય છે.

10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી - 2025 સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગનાં દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન ચાલવાનું છે. મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલે પણ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કૅર સેન્ટરની સોમવારે મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન વાઇલ્ડ લાઇફ કૅર સેંટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વન્ય પ્રાણી ફોટોગ્રાફ એક્ઝીબિશનની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે પટેલે 'સ્નૅક રેસ્ક્યુ એપ' લૉન્ચ કરી હતી. આ સાથે તેમણે વન વિભાગ દ્વારા ત્યાર કરવામાં આવેલા 'કરુણા અભિયાન' પુસ્તકનું વિમોચન કર્યુ હતું અને 'કરુણા અભિયાન 2025 સિગ્નેચર' કેમ્પનમાં પણ ભાગ લીધો હતો.

રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઑફ ધ ફૉરેસ્ટ ફોર્સના ડૉ એ. પી. સિંહે જણાવ્યું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા. 10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ ભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.

ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે ચાલી રહેલ રાજ્યવ્યાપી કરૂણા અભિયાન હેઠળ રાજ્યના કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સઅપ નંબર 8320002000 અને 1926 હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. આ નંબર પર "Hi" મૅસેજ કરવાથી એક લિંક મળશે કે જેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર સેવારત છે. આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનો જીવ બચાવી શકશે.

કરુણા અભિયાન-2025માં આશરે 600થી વધુ વેટરનિટી તબીબો તેમજ 8,000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. સાથે જ, પશુપાલન વિભાગ, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના મળીને રાજ્યભરમાં કુલ 1,000થી વધુ સારવાર કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન રાજ્યભરના 865 પશુ દવાખાના, 34 વેટરનરી પોલિક્લિનિક, 27 શાખા પશુ દવાખાના ઉપરાંત 587 જેટલા ફરતા પશુદવાખાના અને 37 કરુણા એનીમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે. જ્યાં ઘાયલ પશુ-પક્ષીની સારવાર માટે જરૂરી તમામ સાધનો અને દાવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરુણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે. છેલ્લાં આઠ વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 97,200થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે. જે પૈકીના 31,400થી વધુ પશુઓને તેમજ 65,700થી વધુ પક્ષીઓને યોગ્ય સારવાર આપવામાં આવી છે.

ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરુણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. ગત વર્ષે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 13,800થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જેમાં 4,400થી વધુ પશુઓ અને 9,300થી વધુ પક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે, છેલ્લા 08 વર્ષમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં આશરે 17,600, સુરત જિલ્લામાં 13,300થી વધુ, વડોદરા જિલ્લામાં 10,700થી વધુ, રાજકોટ જિલ્લામાં 8,300થી વધુ, આણંદ જિલ્લામાં 6,800થી વધુ અને જૂનાગઢ જિલ્લામાં 6,100થી વધુ પશુ-પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર પૂરી પાડવામાં આવી છે. આમ, ગુજરાતે સૌપ્રથમવાર શરુ કરેલું ‘કરૂણા અભિયાન’નું આદર્શ મોડલ આજે સમગ્ર દેશ માટે પથદર્શક બન્યું છે.

Post a Comment

Previous Post Next Post